સ્વામિનો જન્મ શિરોહી રાજસ્થાનના ખાણ ગામમાં ચારણકુળમાં લાડુદાનજીને ઘરે માતા લાલુબાની કુખે વિ.સં.1828 મહાસુદ પાંચમના રોજ થયો હતો.બાળપણનું નામ લાડુદાન હતુ.સ્વભાવે ચતુર અને મેઘાવી બાળક લાડુદાનજીએ 15 વર્ષની નાની ઉંમરે ઉદેપુરના મહારાણા રાજ દરબારમાં કવિઓની ભીડ વચ્ચે પોતાની કવિત્વ શક્તિનો અણસાર આપ્યો.રાણાએ પ્રસન્ન થઈને તેમને પિંગળશાસ્ત્ર ભણવા કચ્છ મોકલ્યા.
લાડુદાનજી ટૂંક સમયમાં ગાયન-વાદન-લેખન જેવી 24 કળાઓના અધિષ્ઠાતા બન્યા.64માંથી 24 કળા પર પ્રભુત્વ ધરાવતા આ યુવકની રાજ કચેરીઓમાં ભારોભાર પ્રશંસા થઈ.
એકવાર યુવક લાડુદાનજી ભાવનગરથી ભગવાનની પરીક્ષા લેવા ગઢડા આવ્યા અને શ્રીહરિના પ્રથમ દર્શન થતા જ ફકીરી લઈને અધ્યાત્મપંથના નિત્ય પ્રવાસી બન્યા.એકવાર લાડુબા,જીવુબાને સંસારનો રસ ચખાડવા જતા તેમને પ્રભુપ્રેમ રસની માદકતા રગેરગમાં વ્યાપી ગઈ અને લાડુદાને જીવનકથાને ભગવો રંગ આપ્યો.શ્રી રંગદાસ બની ગયા.
શ્રી રંગદાસે પોતાની કલાકૌમુદીને કરુણાસાગરની કરુણા કોકિલના ટહુકારથી ભરી દીધી.કવિકર્મમાં જ્ઞાન, ધ્યાન,અને મૂર્તિ માધુરી રસમય કાવ્યોની હારમાળા સર્જી.તેમના કાવ્યોમાં શ્રીહરિને "શ્રી રંગદાસ"નામ બંધબેસતુ ન જણાતા "બ્રહ્માનંદ" આવુ પુનઃનામકરણ કર્યુ.તેમની કવિત્વ શક્તિને અવિનાશીનું આલંબન મળતા પુરબહાર ખીલી ઉઠી.સંપ્રદાયેત્તર વ્યક્તિ વિશેષ અને અંગ્રેજ અધિકારીઓ સુધા તેમનાથી પ્રભાવિત થયા.
બ્રહ્માનંદ સ્વામી માત્ર શબ્દ શિલ્પી નહિ,સ્થાપત્યના પણ ઉત્તમ જાણકાર હતા.વડતાલ મૂળી અને જુનાગઢના મંદિરોની રચના તેમની આગવી સ્થાપત્ય વિષયક કોઠાસુઝની સાક્ષી છે.
બ્રહ્માનંદ સ્વામીની ઉપસ્થિતી હાસ્યનો પર્યાય બની જતી.સભા પ્રસંગે કે કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં પણ બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિને સખ્યભાવે હાસ્ય કરવા પ્રેમવશ કરતા.
સ્વામીની પદ રચનાઓ બ્રહ્માનંદ કાવ્ય ભાગ-1,2માં સંકલિત કરીને પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમના કાવ્યોમાં શ્રીહરિ સંબંધી દિવ્ય સુખામૃતના રસમય છાંટણા વાચકોને અંતરે આનંદના અમી વરસાવે છે."છંદરત્નાવતિ"તેમની અલંકારિક ઉત્તમોત્તમકૃત્તિ છે. સ્વામીના પદો "આશ્રમ ભજનાવલી"માં પણ સ્થઆન પામ્યા છે.જ્ઞાન વૈરાગ્યને રસમય ગોપીભક્તિમાં એક સમાન કાવ્યવૈદુષ્ય બતાવનાર કવિવિર બ્રહ્માનંદ સ્વામી લગભગ 60વર્ષ અવિરત સાહિત્ય સેવા કરતા રહ્યા અને મૂળીમાં સંવત 1888 જેઠસુદી 10ના રોજ અક્ષરમુક્તોની પંક્તિમાં ભળી ગયા |