શુક્લપક્ષના ચંત્રવત વૃદ્ધિ પામતા રામશર્મા માતા પિતાને આનંદ આપી;પરિવાર તથા નગરવાસીઓને સ્વધર્મ,ભક્તિ,વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા.યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વૈદાધ્યયન નિમિત્તે ગૃહત્યાગ કરીને સદગુરુની શોધમાં નીકળી પડ્યા .અયોધ્યાથી નીકળેલા રામશર્માને જુનાગઢ ગિરનાર તળેટીમાં આત્માનંદ નામે સિદ્ધ ગુરુ મળ્યા.દિક્ષાલીધી અને રામાનંદ સ્વામી નામ ધારણ કર્યુ.અષ્ટાંગ યોગ સાધના કરતા સિદ્ધ દશાને પામ્યા.સમાધીમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનદં સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી.
શ્રીરંગક્ષેત્રમાં આચાર્યવરશ્રી રામાનુજાચાર્ય થકી દિક્ષા પામ્યા.સમાધિમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.એટલે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા.તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃન્દાવન આવ્યા. ત્યાં ભગવદાનુષ્ઠાન કરતા પુનઃનંદનંદન શ્રીકૃષ્ણચંદ્રના દર્શન થયા.તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નૂતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફૂરણા જગાડી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રીગણેશ કર્યા.
રામાનુજ દર્શનના સિદ્ધાંતાનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો.ગામડે ગામડે તેમના બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થવા લાગી.ઠેરઠેર ભક્ત મંડળીઓ અને સદાવ્રતો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી.
રામાનંદ સ્વામીના આશ્રમો પૈકિના લોજગામના આશ્રમમાં વિ.સં.1856માં શ્રાવણ સુદ 6ના રોજ નિલકંઠ વર્ણીરુપે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા.પીપલાણામાં સ્વામીએ નિલકંઠવર્ણીને દિક્ષા આપીને "સહજાનંદ સ્વામી" અને "નારાયણ મુનિ"એવા બે નામ આપ્યા.અને જેતપુરમાં સર્વસંમતિથી સવંત 1858માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપી.અને તેમનું અવતરણકાર્ય પુરુ કરીને અંતે"ફરેણી"ગામમાં વિ.સં.1858 માગશર સુદ 13 ત્રયોદશીને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત્સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુકત થઈને દિવ્ય દેહને પામ્યા.અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો. |